Skip to main content

ગરમાળો (આરગ્વધ)

૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય છે. અને પહેલાં ફૂલો આવે છે ત્યારે માત્ર ડાળી પર ફૂલો જ જોવા મળે છે .ત્યારબાદ પર્ણો નવા ફૂટવા લાગે છે. અને લીલાછમ વૃક્ષમાં પીળાં રંગનાં ઝુમ્મર લટકાવ્યા હોય તેવાં દેખાય છે. તે સુવર્ણ સમાન ચમકદાર અને આકર્ષક લાગવાને કારણે જ તેનું એક નામ સ્વર્ણવૄક્ષ પણ છે.આરગ્વધ ગરમાળો એ ચતુરંગુલના નામથી પણ ઓળખાય છે.

चतुरंगुल मृदुविरेचनानाम् I
  ગરમાળાનું મુખ્ય કર્મ એ મૃદુ વિરેચનનું છે તેની શિંગ એ ચાર આંગળની માત્રામાં લેવાની હોઈ તેનું નામ જ ચતુરંગુલ આપણા ઋષિઓએ પાડેલ છે. ગરમાળાનાં પાન, છાલ
શિંગ, ગરમાળાનો ગોળ, ફૂલ તમામ અંગો એ ઔષધીય ગુણ ધરાવે છે. ગરમાળાની શિંગોમાં રહેલ ગરને ગરમાળાનો ગોળ કહે છે. એ મુખ્યત્વે ઔષધ તરીકે વપરાય છે.

  બજારમાં મળતી શિંગો અથવા ગરમાળાનો ગોળ એ સડેલો ,ઘણીવાર ખોટો થઈ ગયેલો અને મધુર હોવાથી ઘણીવાર તેમાં જીવડાં પડી ગયેલ પણ જોવા મળે છે. પણ જો તેનો યોગ્ય ઊપયોગ કરવો હોય તો તેનો વિધિસર સંગ્રહ કરવો પડે અને તેના માટે જ્યારે શિંગો આખી પાકીને મરુન વર્ણની થઈ જાય પછી જ ઝાડ પરથી ઊતારીને તેને સાત દિવસ સુધી રેતીમાં દાટી રાખવી અને પછી તેને બહાર કાઢીને તાપમાં તપાવવાથી ગોળ ઓગળવા લાગશે અને તે ગોળ કાઢીને તેને ચુસ્ત બંધ બોટલમાં ભરીને રાખવો અને આવા ગરમાળાનો ગોળ એ શ્રેષ્ઠતમ પરિણામ આપનાર નીવડે છે.

 તેનો સ્વાદ એટલો મધુર છે કે બંગાળમાં તો તમાકુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ગરમાળાના ગોળની એક ભાવના પણ આપવામાં આવે છે. કદાચ આ તમાકુથી કબજિયાતમાં રાહત થતી હશે એવો સર્વે થાય તો ખબર પડે!...
અમુક ફાર્મસીઓ દ્વારા બનાવવામાં આવતી ગરમાળાના ગોળ સાથેની ટીકડીઓમાં ગોળની જગ્યાએ સીધેસીધું જ શિંગોનું ચૂર્ણ નાખવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં ગરમાળો કેટલા અંશે પોતાની શકિત બતાવી શકે ?

ગુણ-કર્મ–
ગરમાળો એ ગુરુ, સ્વાદિષ્ટ, શીતળ અને મૃદુ રેચન કરાવનાર છે. તેથી જ તે જ્વર,
હ્રદયરોગ, રકતપિત્ત, વાત, ગોળો, શૂલનાશક પણ છે.
ગરમાળાના ફળ એ રુચિકર, કુષ્ઠઘ્ન (ચામડીના રોગોને મટાડનાર, પિત્તશામક, કફશામક, તથા જ્વરમાં સદાય પથ્ય ગણાવેલ છે. ઊપરાંત કોષ્ઠશુધ્ધિ કરવામાં તે શ્રેષ્ઠ ગણાવેલ છે.
ગરમાળાના પાન એ કફ અને મેદશોષક ગુણ ધરાવે છે. મળને ઢીલો કરનાર તથા ખંજવાળ મટાડનાર છે.
ગરમાળાનાં ફૂલ એ શીતળ, સ્વાદુ-મધુર, વાયુ વધારનાર તથા કફ-પિત્તનું શમન કરનાર છે.

મજ્જા – ફલમજ્જા એ મધુર, સ્નિગ્ધ અને જઠરાગ્નિ વધારનાર છે.

વિવિધ ઊપયોગો –

કબજિયાત – ગરમાળાનો મુખ્ય ઊપયોગ જ મૃદુરેચન આપવામાં થાય છે. કાયમી કબજિયાત રહેતો હોય તથા તીક્ષ્ણ ઔષધ ન આપી શકાય તેવી સ્થિતિમાં ગરમાળાની શિંગને ચાર આંગળ પ્રમાણમાં કૂટીને તેને ગરમ પાણીમાં ઊકાળવાથી તેનો ગોળ એ બહાર આવીને પાણીમાં ભળી જાય છે તેને ગાળીને નિયમિત આપવાથી તે આંતરડામાં ચોંટેલા મળને ધીરે ધીરે ઊખાડીને બહાર લાવવાનું કામ કરે છે.

ચર્મરોગ – ચામડીના રોગોમાં પણ રકતદૃષ્ટિ મોટેભાગે પિત્તનાં કારણે જ હોવાથી જો ગરમાળાના ગોળનું નિત્ય મૃદુવિરેચન આપવામાં આવે છે. તો રકતશુધ્ધિ થવાથી ચર્મરોગ મટે છે.

ખંજવાળ – ખંજવાળની તકલીફમાં ગરમાળાના પાનનું બારીક ચૂર્ણ કરીને તેને સ્નાન કરતી વખતે ગરમ પાણીમાં નાંખીને સ્નાન કરાવવામાં આવે તો ખંજવાળમાં રાહત થવા લાગે છે. વળી એક – એક ચમચી પાનનું ચૂર્ણ ખાવામાં પણ લેવાથી તે મૃદુરેચન લાવીને ખંજવાળને મટાડે છે.

બાળકોને રેચન – નાના બાળકોને ઘણીવાર કબજિયાત જોવા મળે છે. અને આવા સંજોગોમાં મળ કઠણ થઈ જવાને કારણે ગુદામાં ચીરા પણ પડવાની શકયતા ઊભી થાય છે ત્યારે ગરમાળા ગોળનું પાણી અથવા તો ગરમાળાના ગોળમાંથી બનાવેલ સ્વાદિષ્ટ સીરપ જો આપવામાં આવે તો ફાયદો થાય છે.

ઊદરશૂલ – ઊદરશૂલનું મુખ્ય કારણ એ કબજિયાત અને તેને કારણે થયેલ ગોળો જ હોય છે.આવા સંજોગોમાં ગરમાળાનાં ગોળને થોડું સંચળ ઊમેરીને આપવાથી ફાયદો થાય છે.

જ્વર – ज्वरेतु सततं पथ्यं कोषशुध्दिकरમ परम् I જ્વરની અવસ્થામાં પિત્તશમન આવશ્યક હોય છે .વળી તીક્ષ્ણ વિરેચન એ આપી શકાય નહીં ત્યારે માત્ર ને માત્ર ગરમાળો જ જ્વરમાં કોષ્ઠશુધ્ધિ કરાવનાર, આમપાચન કરાવનાર અને પિત્તશમન કરાવનાર હોઈ ગરમાળાનાં ગોળનો ચાર આંગળ પ્રમાણમાં લઈને ઊકાળો કરીને નિયમિત રીતે આપવાથી દોષો ધીરે ધીરે બહાર નીકળવાની સાથે જ્વર તાવ મટવા લાગે છે.

Comments

Popular posts from this blog

ચણોઠી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

Gujarat Organic Products Certification Agency (GOPCA)

Gujarat Organic Products Certification Agency (GOPCA) is a Gujarat State Government Certification Body that carries out impartial third party inspection & certification in organic production and handling.  GOPCA works in accordance with the criteria laid down under the NPOP (National Program for Organic Production) 2005-Jun,2015. GOPCA is an autonomous body and is registered under Societies Registration Act, 1860.

સર્પગંધા (Rauwolfia Serpentins)

સર્પેન્ટીના નામથી સહુ કોઈ આયુર્વેદ, એલોપેથીક, હોમિયોપેથિક તમામ પેથીના ડોકટરો પરિચિત તો છે જ, એટલું જ નહીં પણ આખી દુનિયાની નજર જેની ઊપર મંડાયેલી રહે છે. જેના ઊપર વિશ્વભરમાં સતત સંશોધનો ચાલ્યા કરે છે. તેવો યશ ભાગ્યે જ લીમડા, હળદર, આમળાં પછી જો કોઈ ઔષધને મળ્યો હોય તો તે સર્પગન્ધા. Rauwolfia Serpentins ના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ વનસ્પતિની આજુબાજુ સાપ ફરકતો નથી . સાપને પીડિત કરે છે અને દૂર ભગાડનાર હોવાથી તે સર્પગંધાથી ઓળખાય છે.તેના વિવિધ સંસ્કૃત નામો પૈકી એક નામ છે ધવલવિટપ – જે વનસ્પતિ મન અને શરીર ને શુધ્ધ કરે છે. તેથી શરીર ધવલ બને છે. બીજું એક નામ તેની મનની તીવ્રતા – ઊત્તેજનાને શાંત કરવાના ગુણ થી ચન્દ્રમાર પણ છે. એકથી ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતાં આ સર્પગંધાના છોડના પાન ઊપરથી ઘેરા લીલા વર્ણના અને નીચેના ભાગે આછા લીલા વર્ણના છે. સફેદ-ગુલાબી ગુચ્છામાં તેનાં ફૂલો શોભા ઊભી કરે છે.તેની ખાસ ઓળખ એ શ્યામ-રકત વર્ણના વટાણાના દાણા જેવડાં તેના ફળ છે. પ્રમુખપાતઃ ઔષધ તરીકે તેના મૂળનો જ પ્રયોગ થાય છે.જે ગંધરહિત પણ અતિશય કડવું હોય છે. આ સર્પગંધા એ ભારતમાં તો બધે જ જોવા મળે છે. તે છતાં તે કોઈ એક જ વિ...